જાગૃતિપૂર્વક નું સોગંધનામુ ...!
કવિ શ્રી રાજેન્દ્ર શુક્લ ના શબ્દોમાં ...!
હા, મને કવિતા ગમે છે એમ કહેવું-લખવું એય તે ચિર્વત ચર્વન જ કેમ કે કવિતામાં અમે જનમોજનમ, અનેકવાર, અનેક રીતે એ જ કહ્યા કર્યું છે. છતાં -
ઇસવીસન બે હાજર ને ચૌદના માહે સપ્ટેમ્બરની તારીખ સાતમી ને રવિવાર ની આજની આ ક્ષણે, નીચે સહી કરનાર અમે રાજેન્દ્ર શુક્લ રહેવાસી જુનાગઢ હાલ અમદાવાદ, સુરજ ચાંદાની સાખે, અંતરાત્માની સાક્ષીએ સમષ્ટિની રૂબરૂ,સંપૂર્ણ શુદ્ધ બુદ્ધિથી, પુરા હોશોહવાસ સાથે, બિનકેફ,પૂર્ણ જાગૃતીપુર્વકનું કબુલાતનામું,સોગંધ સહીત, આ શપથલેખ એફિડેવિટ કરીએ છીએ કે અમને કવિતા ગમે છે સમજણા થયા ત્યારથી કવિતાને પૂરી ઓળખતા ય નહોતા ત્યારથી.
અને અમે એ પણ જણાવીએ છીએ કે અમને ત્રણે કાળના કવિઓ અને કવિતા ગમે છે. સવિશેષ તો જેને જેને કવિતા ગમે છે તે સર્વકાળના સહુ નામી અનામી ભાવકો પણ અમને અનહદ ગમે છે. અને હવે તો અમે એ પણ જાણી ગયા છીએ કે કવિતાને અમે પણ અતીવ્હાલ પૂર્વક ગમીએ છીએ ...
'' નિત તરંગીત થાઉ ને તું માં શમું
હર ક્ષણે હરજન્મ હું તુજને ગમું !
લિખિતંગ
રાજેન્દ્ર અનતરાય શુક્લ
મુકામ અમદાવાદ, સહી દસ્તખત પોતે
[શબ્દાલય અંક માંથી ...કવિતા મને ગમે છે...]
નીતા શાહ