ધર્મ એટલે શું ?
જયારે આપણે વિચારીએ કે ખરેખર ધર્મ એટલે શું ? ત્યારે ઘણા બધા સવાલો ઉદભવે છે. સામાન્ય રીતે ધર્મ એટલે કે ધાર્મિક વ્યક્તિ એને કહેવાય જે નિયમિત મંદિર જાય,પૂજા-પાઠ -આરતી કરે,ઘરમાં પણ પૂજા પાઠ થતા હોય,પ્રભુ સ્મરણ કરે ભક્તિ કરે એને આપણે ધાર્મિક કહીએ છીએ.બીજી બાજુ જોઈએ તો એક વ્યક્તિ એવી છે, જે આમાંનું કશું કરતી નથી પણ વાણી અને વર્તન માં સારી છે અને સાથે માનવતાવાદી પણ છે, લોકો આને ધાર્મિક ન પણ કહે છતાં આ વ્યક્તિ એના સદગુણો થી અલગ તારી આવે છે.
ધર્મ જયારે એક પ્રણાલી બનીને એના ચોકઠામાં ગોઠવાઈ જાય ત્યારે તે સંકીર્ણતા નું રૂપ ધારણ કરે છે. સાદી ભાષા માં એને દંભ અથવા તો ઢોંગ કહી શકાય. આવા દંભી માણસોની ગણતરી મહાત્મા માં થાય છે પૂજા પણ થાય છે આજે આવું ચિત્ર સમાજ માં ઠેર ઠેર જોતા હોઈએ છીએ.શું મહાત્મા ક્યારેય દંભી હોય ?
આપણાં દેશમાં રામકૃષ્ણ પરમહંસ કે દયાનંદ સરસ્વતી જેવા દિવ્યાત્મા થઇ ગયા જે સાચા અર્થમાં તેજસ્વી અને ઋષિતુલ્ય મહાનુભાવો હતા સ્વામી સચ્ચિદાનંદ પણ એક ક્રાંતિકારી સન્યાસી કહેવાય જેમની વિચારધારા મૌલિક અને વાસ્તવિક હોય અને સુંદર અર્થ ધરાવે છે સ્વામીજી ધર્મની વ્યાખ્યા આ પ્રમાણે કરે છે
'' ધર્મ એટલે વ્યક્તિની અંદર રહેલા સદગુણો ને વિકસિત કરી પ્રગટ કરવાની પ્રક્રિયા. એટલે કે વ્યક્તિની અંદર બેઠેલા દુર્ગુણોને વિકસિત કરીને પ્રગટ કરી આપનારી પ્રક્રિયા ટૂંકમાં ધર્મ એટલે જીવન-સાધના અને જીવન-સાધના એટલે જીવન નો વિકાસ ''
આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિમાં સદગુણો અને દુર્ગુણો ના બીજ પડ્યા જ હોય છે હા,કેટલાક માં સદગુણો ના બીજ વધારે હોય તો કેટલાક માં દુર્ગુણો ના બીજ વધારે હોય અને આમાંથી જ સ્વભાવ ઘડાય છે જેને આપણે પ્રકૃતિ પણ કહેતા હોઈએ છીએ અનેદરેક માણસ પોતાની પ્રકૃતિ પ્રમાણે જ વર્તાતો હોય છે,એ જ એનો સ્વભાવ હોય છે પણ ક્યારેક ઉત્તમ કોટીના કોઈ સદગુણી સંત ના સંસર્ગ માં આવે અને એનું સ્વભાવ પરિવર્તન થાય, સદગુણો નો વિકાસ થાય અને જીવનમાં ઉતારે ત્યારે તેને સાચી ભાષામાં ધર્મ કહેવાય
આપણો પવિત્ર ગ્રંથ ગીતા શું કહે છે તે જોઈએ
ભક્ત,યોગી કે જ્ઞાનીનો આધ્યાત્મિક વિકાસ દેવી પ્રકૃતિ અથવા ગુણો થી થાય છે દેવી સંપત્તિ એટલે
૧.નિર્ભયતા
૨.અંતઃકરણની શુદ્ધિ
૩.જ્ઞાન માટે જીજ્ઞાસા વૃતિ
૪.પરમાર્થ વૃતિ
૫.ઇન્દ્રિયોનો સંયમ
૬.સત્કર્મ
૭. ઉત્તમ ગ્રંથોનું અધ્યયન
૮.સરળતા
૯.સત્ય,અહિંસા અક્રોધ
૧૦.ત્યાગ,શાંતિ
૧૧.શીલતા,ધૈર્ય
૧૨.કોઈની નિંદા નહિ
૧૩.પવિત્રતા
૧૪.નિર્મોહી
આ દેવી સંપત્તિ જેના માં વધુ જણાય અથવા જેણે આ સંપત્તિને આત્મસાત કરી હોય તે જ સાચા અર્થમાં ધાર્મિક કહેવાય. ધાર્મિકતાનો દંભ કરનાર વ્યક્તિ વહેલો મોડો જરૂર પકડાય છે
પૂજ્ય રવિશંકર મહારાજ પણ કહેતા માનવ ધર્મ જ મહાન છે
'' ઘસાઈને ઉજળા બનીએ અને બીજાને માટે જીવીએ ''
સૌના કલ્યાણ માં જ આપણું કલ્યાણ છે અને આ જ ધર્મ નો મર્મ છે ...!
નીતા શાહ