મારું મંતવ્ય

My photo
Ahmedabad , Gujarat, India
''well wisher women.club'' નામે મારી એક બહેનોની સંસ્થા ચાલે છે.જેમાં બે સહિયારી નવલકથા ''મનસ્વી'' અને ''મીણ પાષાણ'' પબ્લીશ થઇ છે. શબ્દની આરાધના કરવી એ મારો જીવનમંત્ર છે. આવનારી પેઢીને વાંચતા આવડશે પણ લખતા નહિ આવડે!

Tuesday, February 23, 2016

''આંતરરાષ્ટ્રીય મહિલા દિન ''



  

  ''આંતરરાષ્ટ્રીય મહિલા દિન ''

ભારત વર્ષ તો પરમ ભાગ્યશાળી દેશ છે જ્યાં પવિત્ર સરિતાઓ જેવું જીવન જીવતી અગણિત નારીઓ છે. વિશ્વના મહાન વિચારક કાર્લ માર્કસે કોઈ પણ સંસ્કૃતિના વિકાસની પારાશીશી તરીકે સ્ત્રી સ્વાતંત્ર્યને ગણાવ્યું છે.ભારત વર્ષમાં વેદોનું સર્જન કરનારા આપના પૂર્વજ ઋષિઓએ સ્ત્રીઓને પુરુષ સમાન દરજ્જો આપ્યો હતો.દેવી તરીકે ભારતીય મહિલાને પૂજાસ્થાને મૂકી હતી.અને '' યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા ''જેવા સુભાષિતો દ્વારા નારીનું સન્માન પણ થયું છે. આપણા પુરાણો અને ઉપનિષદોના સમયની નારીઓ વિદુશીઓ હતી. ગાર્ગી,લોપમુદ્રા,અરુન્ધાતી જેવી અનેક વિદુશીઓ પ્રસિદ્ધ છે.આપણે ત્યાં છેક પંદરમાં સૈકામાં કવયિત્રી મીરાંબાઈ સાચી ક્રાંતિ કરે છે.રાજરાણીના વૈભવને છાજે એ રીતે ક્રાંતિ કરે છે. આજે ભારતની કવ યિત્રીઓમાં મીરાંબાઈ પ્રથમ સ્થાને છે.
  ભારતીય ઈતિહાસ ખાસ કરીને ભારતનો રાજકીય ઈતિહાસ સ્ત્રીઓના પ્રદાનને નકારી શકે તેમ નથી.છેક દ્રૌપદીના સમયથી સ્ત્રીઓ રાજકારણ ને જુદો આયામ આપી રહી છે.કૈકેયીથી શરુ કરીને રઝીયા સુલતાન, અહલ્યાબાઈ,હોળકર,ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવી સ્ત્રીઓએ પ્રત્યક્ષ રીતે તો જીજાબાઇ,જોધાબાઈ,નુરજહાં જેવી સ્ત્રીઓએ રાજકારણ માં પરોક્ષ રીતે ભાગ ભજવ્યો છે. રામાયણ ના અરણ્યકાંડમાં સ્ત્રીને સઘળા દુખો માટે કારણભૂત માનવામાં આવી છે.શ્રી રામ ના મુખેથી કહેવડાવ્યું છે કે ''જપ,તપ કે નીયમરૂપી બધા પાણી ના સ્થાનોને સ્ત્રી ઉનાળાની ઋતુ રૂપે શોષી લે છે.સ્ત્રી અવગુણો નું મૂળ,પીડા આપનાર અને બધા દુઃખોની ખાણ છે.''
હવે આ જો જૂની વાત હોય તો આજની સ્ત્રીઓને શું સમજાય ? ''સ્ત્રીની બુદ્ધિ પગની પાણીએ'' અથવા ''સ્ત્રી નરકનું દ્વાર'' કહેનારા પુરુષોની આ સમાજમાં કમી નથી જ ,પરંતુ આ જ પુરુષો માટે સ્ત્રી એમના જીવન નું મહત્વનું અંગ છે.
છેક પ્રાચીનકાળથી મનુસ્મૃતિના સમયથી પુત્રીને પુત્ર કરતા ઓછી મહત્વની ગણવામાં આવી છે.અથર્વવેદમાં પુત્રીજન્મને ટાળવા માટેની વિધિ અને પ્રાર્થનાઓ છે.ઉપનિષદોમાં પણ પુત્રોત્પતિની કામના કરાઇ છે.પુત્ર પિતાનું પુત નામના નરકથી રક્ષણ કરે છે તેથી એને પુત્ર કહેવાય છે.એમ વેદો કહે છે.મહાભારત માટે દ્રૌપદી અને રામાયણ માટે સીતાને જવાબદાર ઠેરવતો આ સમાજ દર વખતે કોઈ પણ પરીસ્થિતિમાં સ્ત્રીને જવાબદાર ઠેરવે છે.જયારે પુરુષ લગ્નેતર સબંધ બાંધે ત્યારે સ્ત્રીનો કકળાટ એને માટે જવાબદાર હોય છે. પરંતુ સ્ત્રીના લગ્નેતર સબંધને આ સમાજ માફ કરી શકતો નથી. પુરુષ લેખકની આત્મકથાને ''પ્રમાણિક કબુલાત'' નું સર્ટિ આપીને હારતોરા પહેરાવાય છે.જયારે તસ્લીમા નસરીન ની આત્મકથામાંથી ચાર પાના કાઢવાની ફરજ પડે છે.
જોકે હવે સમય બદલાયો છે. ગુજરાતી સ્ત્રીને માત્ર પત્ની કે માતા બનીને પોતાના વ્યક્તિત્વને સીમિત કરવામાં રસ નથી.પોતાની દુનિયા રસોડાની બહાર પણ શ્વાસ લે છે.એન્જીનીયર,મેડીસીન કે કોર્પોરેટનું એક પણ ક્ષેત્ર એવું નથી કે ત્યાં સ્ત્રી અગ્રેસર ના હોય ! સમય કરવત લેતો રહ્યો છે અને સાથે કરવત લીધી છે ગુજરાતી સ્ત્રીના વ્યક્તિત્વએ. ધીરુબેન પટેલ,વિનોદિની નીલકંઠના સમયનું સ્ત્રી પાત્ર હોય કે વર્ષા અડલજા કે ઈલા આરબના સ્ત્રીપાત્ર હોય કે ''સાત પગલા આકાશ'' ની વસુધા ...ગુજરાતી સ્ત્રી લેખકોએ સમયની છાતી પર પોતાના હસ્તાક્ષર કર્યા જ છે. લોક કળા અને લોક સાહિત્યમાં પણ ગુજરાતી સ્ત્રીનું આગવું પ્રદાન છે. કચ્છની હસ્તકલા હોય કે ઝાલાવાડી ભરત,અમદાવાદની બ્લોકપ્રીન્ટ કે પંચમહાલની બેનોના કીડિયા અને કથીરના દાગીના ....કલાપ્રેમી ગુજરાતણ ક્યાય પણ વસતી હોય એ રંગો અને સુંદરતા સાથે પોતાનો નાતો જોડી જ લે છે. સૌથી અગત્યની વાત તો એ છે કે ગુજરાતી સ્ત્રીના લાગણીતંત્રને આજ સુધી બીજો કોઈ રંગ ચડી શક્યો નથી.
ગુજરાતમાં સ્ત્રીને સન્માન અપાવનાર વર્ગ માં પુરુષોનો પણ સમાવેશ કરવો પડે છે.અમદાવાદ કે વડોદરા જેવા શહેરોમાં પણ સ્ત્રીઓ રાતના બે વાગે એકલી ટુ-વ્હીલર પર ફરી શકે છે.એનું કારણ એક જ છે કે ગુજરાત અને ગુજરાતના પુરુષોની સ્વચ્છ માનસિકતા છે એ નતમસ્તકે સ્વીકારવું જ રહ્યું.ગુજરાતના દરેક પાસમાં સ્ત્રીનો ઉલ્લેખ સતત કુટુંબની અગત્યની વ્યક્તિ તરીકે સન્માનનીય સભ્ય તરીકે થયો છે. છતાં એક સ્ત્રી તરીકે કહીશ કે ગુજરાતમાં સ્ત્રીને જે જોઈએ તે બધું મળ્યું છે એવું પણ નથી.અંતરિયાળ ગામડાઓમાં આજે પણ નિરક્ષરતાનો દાનવ મોજુદ છે.દહેજની પ્રથા તદ્દન નાબુદ થઇ નથી. સ્ત્રીભ્રૂણ હત્યા આજે પણ એક પ્રશ્ન છે, પરંતુ એના માટે સરકારે જે કામ કર્યું છે તે નકારી શકાય તેવું નથી.
  ગઈકાલ સુધી સાપનો ભારો, બોજ કે ઉકરડો કહેવાતી દીકરી આજે ગુજરાતના ઘરોમાં દત્તક લેવાય છે.ગુજરાતમાં સ્ત્રીને આજે પણ સ્વતંત્રતા અને સલામતી આપવી એ એના પરિવારની ફરજ ગણાય છે.સ્ત્રી માટે હવે ઉઘાડી રહેલી નવી ક્ષિતિજો તરફ એણે પ્રયાણ કરવા માંડ્યું છે ત્યારે સ્ત્રીનો બદલાતો ચહેરો વધુ સુંદર, આત્મવિશ્વાસથી સભર, વધુ સંવેદનશીલ અને વધુ તેજસ્વી થઇ રહ્યો છે.
પુરુષ પ્રકૃતિ પર વિજય પામવા પ્રયત્ન કરે છે જયારે સ્ત્રી પ્રકૃતિથી અનુકુળ થવા સમાધાન કરતી રહે છે.ભારતની પ્રથમ આઈ.પી.એસ. ઓફીસર શ્રીમતી કિરણ બેદી ટેનીસ ચેમ્પિયન હતા. સને ૧૯૯૪ માં ૧૬ લાખ રૂપિયાનો પ્રતિષ્ઠિત મેગ્સાયસાય એવોર્ડ મેળવ્યો હતો. એ બહાદુર પોલીસ ઓફિસરને એક જ પુત્રી
છે અને એનું નામ પડ્યું છે ''ગુજ્જુ''. બહાદુર સ્ત્રીઓની બહાદુર બેટીઓ 'ગુજ્જુ' કહેવાય છે. આમ સ્ત્રી એ બદલાતા સમાજની સાક્ષી અને સાધન બંને છે.કારણ કે નવા સમાજને પોતાના શરીરમાંથી અને પોતાના મનમાંથી એણે જ જન્મ આપ્યો છે .
સ્ત્રી...
પહેલા પણ પ્રમાણિક હતી ને 
આજે પણ પ્રમાણિક છે..
બદલાયા છે થોડા ક સમીકરણો..
આજે સ્ત્રી પરાવલંબી નથી
આજે સ્ત્રીશક્તિ નો પરચો 
પુરુષપ્રધાન દેશ ''ભારત'' પણ જોઈ રહ્યો છે..
કઈ દિશા ને કઈ ટોચ પર નારી નથી...?
દરેકે દરેક દિશાઓ આજે નારી-શક્તિ થી ગાજે છે

ભૂલી જાવ સ્ત્રી એટલે રસોડાનું સંવિધાન..
ભૂલી જાવ સ્ત્રી એટલે બાળ-ઉછેર કેન્દ્ર
ભૂલી જાવ સ્ત્રી એટલે મર્યાદા માં લપેટેલું રતન..
ભૂલી જાવ સ્ત્રી એટલે પુરુષ જાતિના પગ નીચે કચડાતી જીંદગી..
ભૂલી જાવ સ્ત્રી એટલે ચાર દીવાલો માં કેદ ફફડતું પંખી...
ભૂલી જાવ સ્ત્રી એટલે ઉપભોગ નું સાધન...

આજની નારી સમગ્ર દિશાઓ,ગ્રહો,નક્ષત્રો,દેવ કે દાનવ...અરે બ્રહ્માંડ ને આહવાન
આપે છે....જો એક નારી ને સમજવી હોય,તેના વિષે લખવું હોય,તેના વિષે બોલવું હોય ...તો વધારે નહિ પણ ફક્ત ૨૪ કલાક એક સ્ત્રી બનીને જીવવાનો અનુભવ લો..
જીંદગી ના દરેક પાસાને એક સ્ત્રીત્વ પ્રમાણે દિલ થી સ્વીકારો..તો કદાચ ૧૦% સ્ત્રી 
સમજાશે...બ્રહ્માજી એ કેટ કેટલા અગણિત રસાયણો ના ભંડાર ઠાલવ્યા છે એક નારી ના સર્જન માં...!
તેના દરેક રસાયણો પરાકાષ્ટાને પામે છે...
તેના ગુણધર્મો માં...ધીરજ,સહિષ્ણુતા,સંવેદના,પ્રેમ,મમતા,સન્માન,ખુમારી,ગુસ્સો,દ્વેષ,ઈર્ષા,શક્તિ,બુદ્ધિ,વિચારશક્તિ,સાહસ,શૌર્ય,વિવેક,રચનાત્મક....અરે ઘણું બધું...અધધધ....કહી શકાય તેટલું....!

અરે, નારી તો એક સોશિયલ  ક્લીનર પણ છે...વિચારો સમાજ માં પુરુષો ની વિકૃતિ ને શાંત કરનારી ''વેશ્યા'' સમાજ માં ન હોત તો...કલ્પના કરો કેટલો ગંદો હોત આ સમાજ...!!!
આજે ''વિશ્વ નારી દિવસે''  પ્રભુ ને એક જ પ્રાર્થના....
જયારે જયારે મને અવતરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય ત્યારે ફક્ત એક ''નારી-યોની''
જ આપજે....સાર્થક જીવન જીવ્યા નું સૌભાગ્ય તો મળે...!!!

નીતા.શાહ.








Friday, February 19, 2016

નાસ્તિક ધર્મ


       નાસ્તિક ધર્મ



       ધર્મ પ્રત્યેની આસ્થા માણસમાં કુદરતી રીતે કે જન્મથી હોય છે, આ વાત મારા ગળે તો ઉતરતી નથી.સાવ નાના હોઈએ ત્યારથી આપણને ઘરમાં મંદિર હોય ત્યાં  ભગવાન નો ફોટો કે મૂર્તિ આગળ લઇ જઈને કહે છે,''બેટા  ભગાન ને જે જે કરો ''  બસ ત્યારથી જ બાળકોમાં એક વિચારબીજ રોપાય છે કે ભગવાન નામની કોઈ હસ્તી છે એને ભજવાથી કે પૂજવાથી જ આપણે સરસ રીતે મોટા  થઈએ છીએ ,સારું ભણી શકીએ છીએ  બ્લા બ્લા બ્લા....! પાછુ ધાર્મિક શ્લોકો કે મંત્ર કડકડાટ બોલી જનારા મુન્ના-મુન્ની ના ખુબ વખાણ થાય. હકીકત એ છે કે ''કાગનું બેસવું ને ડાળનું પડવું '' એવા કોઈ સંજોગોમાં ફાયદાકારક ઘટના ઘટે એટલે આ વિચાર દ્રઢ બની જાય અને એ  સિલસિલો ચાલુ રાખવા માટે પૂજા,પાઠ ,મંત્ર નો સિલસિલો પણ ચાલુ થઇ જાય. પ્રભુ પ્રત્યેની આસ્થા નેચરલ કરતા મેનમેઇડ વધારે હોય છે.
        અમેરિકા એટલે જાતજાતના આપણને વિચિત્ર લાગે તેવા અભ્યાસ અને સર્વેક્ષણ ની દુનિયા. એમાંથી નીકળતા નિષ્કર્ષોમાં આપણે કેટલો વિશ્વાસ મુકીએ તે આપણા પર છે.પણ ત્યાની અમેરિકન ફીઝીકલ સોસાઈટીએ એના એક સ્ટડી ના આધારે તાજેતરમાં જે તારણ બહાર પાડ્યું તે ખાસ્સું ઈન્ટરેસ્ટીંગ છે. આ અભ્યાસના આંકડા  કહે છે  દુનિયાના નવ દેશોની અંદર લોકોમાં ધાર્મિકતા ઘટી રહી છે.છેલ્લા સો વર્ષમાં લોક્વસ્તી અને ધર્મ પ્રત્યેની એમની શ્રદ્ધાનો અભ્યાસ કરીને આ તારણ કઢાયું છે.એટલે સાવ મો માથા વિનાની વાત તો ના કહી શકાય. જો આ તારણ ખરેખર સાચું હોય તો બીજાની ખબર નથી પણ મને બહુ આનંદ એ વાતનો થશે જયારે ભારતમાં આવી પરિસ્થિતિ ઉભી થશે.સમાજનો ડાહ્યો વર્ગ કહેશે દરેક ધર્મ સારો છે.પણ એને વિકૃત કરનારા લોકો ખરાબ છે. અને જો આ વાત સાચી હોય તો આપણે તો ભાઈ આવા ખરાબ લોકો સાથે જ જીવવાનું,મરવાનું ને હેરાન થવાનું છે.
''જીના યહાં મરના યહાં ઇસકે સિવા જાના કહાં?''
       ફક્ત ગ્રંથોમાં જ ધર્મ સાચવી રહે તો એમાં કોનું ભલું  થવાનું ?
એવું પણ કહેવાય છે કે ધર્મ માં માનતી વ્યક્તિ ખોટું કામ કરતા અચકાય. જો આ વાત સાચી હોય તો ધર્મસ્થળો, ટ્રસ્ટો અને ધાર્મિક સંગઠનો દુનિયાના સૌથી વધુ પ્રમાણિક અને પવિત્ર જીવો હોત ! પરંતુ દિલ પર હાથ મુકીને,દિમાગના દરવાજા  ખુલ્લા રાખીને કહો કે ખરેખર એવું હોય છે ખરું ?

 * મોટા ભાગના ચોર ડાકુઓ એમના કામે નીકળતા પહેલા પોતપોતાના ઇષ્ટ દેવનું નામ લે છે.
 * મહારાષ્ટ્ર ના ડાન્સબાર ને દુષણ ગણાવીને બંધ કરી દેવાયા,પણ આવા સંખ્યાબંધ બાર માં બહાર રિસેપ્શન એરિયામાં જુદા જુદા દેવદેવતા ઓની મૂર્તિ અને છબી હોય જ છે. બાર ઓપન થાય એ પહેલા એના માલિક કે મેનેજર  ત્યાં ધુપદીપ કરીને માથું નમાવી લે છે.
 * જુગારમાં બૈરી છોકરાઓને બરબાદ કરી નાખતા લોકો પોતાના પત્તા ઉપાડતા પહેલા ભગવાન ને યાદ કરે છે.
 * દુકાન માં જાતજાતના ધર્મવિષયક સ્ટીકર્સ લગાવી રાખનારા વેપારીઓ ભેળસેળ કે કાળાબજાર કરતા ક્યાં અચકાય છે ?
* કરોડોની કરચોરી અને બીજા ખોટા ધંધા કરનારા શ્રીમંતો એમની કમાઈ નો સાવ નાનકડો હિસ્સો ભગવાન ને ધરે છે.
* રોજ મંદિરે જતી સાસુઓ એમની વહુઓ પર જુલમ કરે છે.
* રોજ ઘરમાં દીવો કરતી વહુઓ પારિવારિક કાવાદાવાઓ કરે છે.

 શું આ બધાને ભગવાન નો ડર ક્યારેય રોકે છે ?આપણે જે ધર્મની વ્યાખ્યા કરીએ છીએ એમાં જો બધા માનવાનું બંધ કરે તો કેટલા ઝગડા,છળકપટ, રમખાણો, ગંદી રાજકીય રમતો ઓછી  થઇ જાય.
મંદિર મસ્જીદ બનાવવાના નામે જમીનો ગપચાવવાનો અને શ્રધ્ધાળુઓને લુંટવાના બીઝનેસ પર તાળા વાગી જાય.આપણે જ કહીએ છીએ ને કે જેમ જેમ આગળ વધ્યા  તેમ તેમ ધર્મ વિકૃતિઓ ભળતી ગઈ છે.તો પછી વિકૃતિઓ પ્રત્યેનો લગાવ,એના પરનો આધાર ઓછો થાય તો  એમાં ખોટું શું છે ? ભલેને નાસ્તિક થઇ રહેલા લોકો પોતાની શક્તિ અને મહેનત માં વધુ વિશ્વાસ રાખતા થાય.
         ધર્મ શબ્દનો એક અર્થ થાય છે :- સજીવ કે નિર્જીવની મૂળ પ્રકૃતિ કે ગુણધર્મ. જેમ કે અગ્નિનો ધર્મ છે બાળવું  બીજો અર્થ છે . જેમ કે રાજા નો ધર્મ છે કે પ્રજાનું રક્ષણ કરવું. ભગવાન હોય તો એમને પણ કદાચ આવા લોકો વધુ  ગમે.જે પોતાનો ધર્મ આપબળે ,પ્રમાણિકતાપૂર્વક  નિભાવે , વારંવાર ભગવાન ને ડીસ્ટર્બ ન કરે, સતત મદદ માટે પોકાર ન પાડ્યા કરે, ઈશ્વરને બાંધે નહિ   બાધાઓ રાખીને !
         ઘણીવાર નાસ્તિકને એવું  કહેવાય છે કે આ સમગ્ર વિશ્વને ચલાવનારી કોઈ શક્તિ  છે એટલું તો સ્વીકારો છો ને? ચલો માની પણ લીધું કે એવી કોઈ શક્તિ  હશે પણ આ શક્તિનું કામ આપણ ને હવા,પાણી,અને પ્રકાશ આપવાનું, એ પણ પૂરેપૂરું નિષ્ઠા સાથે. જીવનમાં એટલું તો ઉતારીએ અને  જીવન માં કર્તવ્ય પ્રમાણિકતા થી નિભાવીએ તો ય ઘણું છે .


નીતા શાહ
















ધુમ્મસ

        

          ધુમ્મસ 

 

   જુવો,રસ્તા વચ્ચે જ ઉભો હું 
   કોણ છે તું ?
   અરે,હું ?
   સાંભળ   હું એટલે 
   એક સ્વૈર વિહારી ધુમ્મસ 
   વાહનોની લાગી કતારો ને 
   રોડ આખો મારા સકંજામાં 
   ટ્રાફિક જામ છે રસ્તા ઉપર 
   થંભી ટ્રેનોની ગતિ ને 
   અટવાયા પેસેન્જરો 
   માથાભારે એવો હું
   ફ્લાઈટ પણ પડે લેટ 
   ઠંડી પડવી કુદરતી છે 
   એના પર સૃષ્ટિનો ઈજારો 
   એમાં મારો શું વાંક?
   તાબેદાર હું ઈશ્વરનો 
   દાદાગીરી કરવી જ હોય તો 
   કોને ઓલા સુરજને 
   ખોલે આંખો એની 
   ઝાકળનું રૂપ ધરીને 
   વિલીન થઈશ પળભરમાં 
   જળનું જ રૂપ 
   જળમાં જ અલોપ 

   નીતા શાહ
   











કોઈ મિત્ર મળે તો આમ જ સ્મિત રેલાવું છું...!


   આદત પડી ગઈ છે

 



   કોઈ મિત્ર મળે તો આમ જ સ્મિત રેલાવું છું
   હવે તો આદત પડી ગઈ છે ખુદને છેતરવાની

   જીંદગીની આ કસોટીમાં  પ્રશ્નો તો ઘણા અઘરા
   હવે તો આદત પડી ગઈ છે ઉત્તર આપવાની

   ઝાંઝવારુપી રસ્તામાં પરબો તો ઘણી આવી
   હવે તો આદત પડી ગઈ છે મૃગજળ પીવાની

   ઝાકમઝોળ ભરેલી દુનિયામાં ખોવાયા શબ્દો
   હવે તો આદત પડી ગઈ છે મૌનને પાળવાની 

   દરેક રમતમાં જીતાડ્યા એને એનીજ ખુશી માટે
   હવે તો આદત પડી ગઈ છે ખુશીથી હારવાની

   ઠોકર વાગી જો રાહમાં તો પથ્થરનો શું વાંક ?
   હવે તો  આદત પડી ગઈ છે દરદો સહેવાની

   પરવાહ ક્યાં સુધી કરતી રહીશ આ દુનિયાની
   હવે તો આદત પડી ગઈ છે ચર્ચામાં રહેવાની

   નીતા શાહ



Saturday, February 6, 2016

લઘુ વાર્તા “અધૂરા થયા પૂરા”




                                       “અધૂરા થયા પૂરા”
   
ફેસબુકની આકાશી અને આભાસી વર્ચ્યુઅલ દુનિયામાં બે વર્ષ પહેલા આકાશ નામના તેજસ્વી યુવકે ફ્રેન્ડ સજેશન લિસ્ટમાં વારંવાર હાઈલાઇટ કરતી રાધાકૃષ્ણના પ્રોફાઇલ પિક્ચરવાળી ધરા શાહ નામની સમવયસ્ક યુવતીને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી ને એકાદ મહિના લાંબા સમય પછી આકાશની સંપૂર્ણ એફ.બી. પ્રોફાઈલ ચકાસીને ધરાએ આકાશની મિત્રતા સ્વીકારી.
    ક્યારેક જ ફેસબુક પર પોતાના વિચારો પ્રકટ કરવા આવતી ધરાને આકાશની પોસ્ટ વાંચી એની હ્યુમર તરફ આકર્ષાતી હતી, લાઇક કોમેન્ટ વડે બંને એકબીજાની પ્રત્યક્ષ-અપ્રત્યક્ષ હાજરી પુરાવતા જતાં હતા. આકાશ રોજ ઓવન ફ્રેશ જોક્સ લખીને સૌને હળવા કરતો બીજી તરફ ધરાને પણ બે-ચાર લીટીની શાયરી લખવાનો શોખ હતો. આ કારણે બંનેનું ફ્રેન્ડ અને ફોલોવર્સનું લિસ્ટ પણ ખાસું લાંબુ હતું.
    મિત્રોની અને ફોલોવર્સની વધતી સંખ્યા વચ્ચે આકાશ અને ધરા એકધાર્યા લાઇકસ અને કોમેન્ટ્સનો દોર વટાવી ઓપન ટાઇમલાઇન પરથી અંગત બાઈલાઇનવાળા મેસેજના ચેટબોક્સમાં વાતચીતની હારમાળા શાયરી તો ક્યારેક સ્માઇલી વડે કરવા લાગ્યા ને પછી તો જોતજોતામાં ધીમે ધીમે બંને સારા મિત્રો બની ગયા.
    ફેસબુકના સંબંધો હળવે-હળવે વિશ્વાસ અને વહાલપૂર્ણ બન્યા ત્યારે આકાશે ધરાના મોબાઇલ નંબરની માંગણી કરી. ક્યારેય કોઈ અજાણ્યા વ્યક્તિને પોતાનો પર્સનલ નંબર ન આપનાર ધરા આકાશને કશું વિચાર્યા-સમજ્યા વિના પોતાનો નંબર આપી બેસી. ધરાએ તો આકાશનો ફોટો પણ જોયો ન હતો અને પોતે રાધાકૃષ્ણનું પ્રોફાઈલ પિક્ચર રાખ્યું હોવાથી તેને પણ આકાશે ક્યારેય જોઈ ન હતી.
    આકાશ માયાનગરી મુંબઈ રહેતો હતો અને ધરા સાબરમતીનાં કિનારે અમદાવાદમાં. આ સ્થળનું અંતર વ્હોટ્સઅપનાં મેસેંજર બોક્સમાં ઘટીનેને નિકટ થયું. રોજ સવાર-સાંજ અને રાતનાં નિયત સમયે આતુરતાપૂર્વક બંને એકબીજાનાં સવાલ-જવાબ અને મેસેજની રાહ જોતા અને ચેટ દ્વારા વિધવિધ વિચારોની આપ લે થતી. ક્યારેક ક્રિકેટ વિશે તો ક્યારેક કપિલ લાફ્ટર વિષે તો ક્યારેક ગાલીબ વિષે તો ક્યારેક ભવિષ્યનાં સપનાં અને ઘર-પરિવાર વિષે ચર્ચા થઈ બંનેની વચ્ચે મૌનની રેખા ખેંચાઈ જતી. અવિરત પસાર થતાં સમયની સાથે ધીમે-ધીમે બંનેના ગમા-અણગમા પણ ચર્ચામાં રહ્યા અને જીવનમાં એક પોતાનાપણાની હૂંફાળી મીઠાશ ઉમેરાઈ ગઈ, ધરા અને આકાશ મનોમન એકબીજાને ગમવા લાગ્યા.
    એકદિવસ દરરોજની જેમ ધરા ઓનલાઇન થઇ ત્યારે આકાશનો મેસેજ વાંચવા મળ્યો કે, ''એક ગુડ ન્યૂઝ  આપવાના છે.''
    એકવાર માટે તો ધરા ગભરાઈ ગઈ હતી કે શું હશે?  એક સામટા કેટકેટલા વિચારોએ ધરાને ઘેરી લીધી. ત્યાં જ આકાશનું હેલો વાંચ્યું. ફરી આકાશ ટાઈપિંગ લખેલું દેખાયું. ત્યાં ધરા પૂછી લીધું, “શું ગુડ ન્યૂસ છે?”
    હું અમદાવાદ આવી રહ્યો છું. મળશે?” ક્ષણાર્ધ માટે તો ધરાને ધ્રાસકો પડ્યો પણ બીજી જ ક્ષણે તેણે આકાશને મળવાનો નિર્ણય કરી લીધો આખરે તો ધરા પણ એને મનોમન ચાહતી અને મળવા માગતી હતી. બંને એકબીજાને ઓળખશે કેવી રીતે? તેના માટે ધરા કહ્યું પોતે પિંક સ્લીવલેશ ટોપ ને નેવી બ્લ્યૂ જીન્સમાં આવશે અને આકાશ તારે વ્હાઈટ શર્ટ ને બ્લેસ જીન્સમાં આવવાનું રહેશે. બીજા દિવસે મળવાનો સમય અને સ્થળ નક્કી થયો.
    એ રાત બંને ઊંઘ ન આવી. પ્રશ્નોનો દોર એક પછી એક બંનેનાં દિલ-દિમાગમાં સમાન રીતે ચાલ્યો કે, કેવા દેખાતો/તી હશે? શું થશે? રિયલ લાઇફમાં એકબીજાને પસંદ તો પડશું ને? કાળી રાતની ચાંદનીમાં બંને ખુલ્લી આંખે રંગીન સપનાઓમાં રાચતા હતા. બંને વચ્ચે એક અનોખો સ્નેહનો સેતુ હતો અને તે હતો વિશ્વાસનો!
    ધરા અને આકાશનાં મિલન દિવસનો સુરજ કઈક જુદો જ લાગતો હતો,  સોનેરી કિરણો ધરાના કાનમાં જાણે કઈક ચાડી ખાઈ રહ્યા હતા, આકાશને મળવાની મનોમન તીવ્ર ઈચ્છા હતી તો સાથે એક ડર પણ હતો બીજી બાજુ વિશ્વાસ પણ હતો. ગની દહીવાલા ની ગઝલ ના શબ્દો ગણગણતી હતી ''દિવસો જુદાઈ ના જાય છે, એ જશે જરૂર મિલન સુધી મારો હાથ ઝાલીને લઇ જશે નિજ શત્રુઓથી સ્વજન સુધી ....'' નિત્ય કર્મ આટોપીને ધરા અરીસા સામે ગોઠવાઈ ગઈ. પોતાનું જ પ્રતિબિંબ જોઇને એ શરમાતી, હરખાતી પોતાનામાં જ ખુશ હતી પિંક સ્લીવ લેસ ટોપ,  રેશમી ખુલ્લા વાળ, હલકો મેકઅપ અને મેચિંગ ઈરીન્ગ્સમાં સાચે કોઈને પણ પ્રથમ નજરે ઉત્તેજિત અને આકર્ષિત કરી મૂકે તેટલી દેખાવડી લાગતી ધરાએ  ફેવરીટ પરફ્યુમ લગાવ્યું. અચાનક ધડીયાળમાં નજર ગઈ,  ‘ઓહ.ગોડ’ ફટાફટ સેન્ડલ પહેરીને દુપટ્ટો મોં પર બાંધીને ગોગલ્સ પહેર્યા અને એકટીવા સ્ટાર્ટ સી.સી.ડી. જવા માટે પોતાના ટુ વ્હીલર પર નીકળી પડી. ધરાએ ગતિથી જજીસ રોડ પરના સી.સી.ડી તરફ પ્રયાણ કર્યું.
    સી.સી.ડી.નો ગેટ ખોલતા જ એની આંખો આકાશને આમતેમ શોધી રહી હતી. ત્યાં જ એક ટેબલ પર રેડરોઝના બુકે સાથે વ્હાઈટ શર્ટ એન્ડ બ્લ્યુ ડેનીમ માં એક દેખાવડો યુવક એને જોવા મળ્યો. એને જોતા જ જાણે એના ધબકારા વધી ગયા હતા. આકાશ તરફ જઈને જ વિનમ્રતાપૂર્વક ઈશારાથી એકપણ શબ્દ ઉચ્ચાર્યા વિના પૂછ્યું કે, આપ જ આકાશ છો?” વિસ્મયથી ધરા આકાશને અને આકાશ ધરાને ઘડીભર માટે જોતાં રહી ગયા. આકાશે બુકે ધર્યો, ધરાએ સ્વીકાર્યો અને ચેર ખેંચી આકાશની સામે બેસતા હાથ જોડી આભાર માન્યો. થોડીવાર બંને ચૂપ રહ્યા. પછીથી આકાશે બોલવાની શરૂઆત કરી,
“ધરા સાચે જ આપ ખુબ સુંદર લાગો છો.” આકાશની વાત પર ધરાએ ફક્ત ડોક નમાવી નાનકડું સ્માઈલ આપ્યું. આકાશે કહ્યું કે, ધરા સૌ પ્રથમ તો કોઈ બીજી ગોળગોળ વાત ન કરતાં મારે તમને એક સીધી સત્ય વાત કહેવી છે. જે મેં તમારાથી છુપાવી છે અને એ વાત સાંભળ્યા પછી બની શકે તમે મારી જોડેની મિત્રતા તોડી પણ શકો. આફ્ટર ઓલ. તમારો જે નિર્ણય હશે તે મને મંજુર છે.” આકાશે ધરાનો કુંમળો હાથ પકડી કહ્યું,આજથી છ વર્ષ પહેલા એક એકસીડન્ટમાં મેં મારો જમણો પગ ઘૂંટણીયેથી ગુમાવ્યો હતો, આ તમે જોઈ રહ્યા છો તે મારો નકલી પગ છે.” ધરા આકાશ સામે જ જોઈ રહી હતી. કોઈપણ રિલેશનશિપમાંમાં આગળ વધતા પહેલા સ્પષ્ટતા કરવી અનિવાર્ય છે, તમને યોગ્ય લાગે તે નિર્ણય લઇ શકો છો ધરા. આપણા સંબંધો વિશ્વાસની ઈમારત પર ચણાયા છે એટલે હું તેમાં કશું છુપાવી તમને દુ:ખી કરવા માગતો નથી.”
    આકાશની વાતો પર ઘરા મરક મરક હસવા લાગી હતી. ધરાએ ધીમા સ્વરે કહ્યું, “આકાશ હું તમને ખૂબ જ ચાહું છું અને તમને હું અંધારામાં રાખવા નથી માંગતી. સૉરી બટ, હું સાંભળી શક્તી નથી. મારા જેવી બધીર સાથે તમે આગળ નહિ જ વધો એ હું જાણું છું. એટલે જ હું તમને મળવા માંગતી હતી, કદાચ આ આપણી છેલ્લી મુલાકાત પણ હોય પણ હું ખુબ ખુશ છું. મારા મન નો ભાર હલકો થઇ ગયો. આપણે મિત્રો તો રહીશું જ ને?
    ધરાનાં લાગણીસાભાર શબ્દો આકાશનાં કાને પડી એ ભાવુક થઈ ઉઠ્યો. પ્રભુનો મનોમન આભાર માનતો આકાશ શું કહેવું શું ન કહેવું તેની અસમંજતામાં પડી ગયો.
    ખિસ્સામાંથી પેન કાઢી પેપર નેપકીન લઈ થોડા સમય પહેલા ધરાને જે વાત અવાજમાં જણાવી હતી એ અક્ષરથી લખી આપે સાથે તે ધરાને સાચા દિલથી પ્રેમ કરે છે અને ભવિષ્યમાં પણ કરતો રહેશે તે પણ અંતરની લાગણીથી લખી ધરાને આપ્યું. આકાશનું લાગણીશીલ લખાણ વાંચીને ધરાની નમણી આંખમાંથી દડ દડ આંસુ વહેવા માંડ્યા અને આકાશની આંખોમાં આંખો પરોવીને ધરા બોલી, “આઈ લવ યુ આકાશ ....!!!”
નીતા શાહ